રાહુલ ગાંધીનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ, 2027 માટે કોંગ્રેસ બનાવશે નવી રણનીતિ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 7 અને 8 માર્ચે ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પ્રદેશ કોંગ્રેસના મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીનો પ્રવાસ એવા સમયે થાય છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે રહેશે. PM મોદી 7 માર્ચે સુરત અને 8 માર્ચે નવસારીની મુલાકાતે જશે.

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો સાથે બેઠક યોજશે. ઉપરાંત, જિલ્લા અને શહેર પ્રમુખો, તાલુકા અને નગરપાલિકા પ્રમુખો અને સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. 8 માર્ચે તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે અને બપોરે 2 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ 

  • 7 અને 8 માર્ચ: પ્રદેશ કોંગ્રેસના કાર્યક્રમોમાં હાજરી
  • 7 માર્ચે 9:15 AM: અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • 10:00 AM: પ્રદેશ કોંગ્રેસના વડાઓ સાથે બેઠક
  • 10:30 AM: પોલિટિકલ અફેયર્સ કમિટીની બેઠક
  • 2:00 PM: જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક
  • 3:00 PM: તાલુકા અને નગરપાલિકા પ્રમુખો સાથે બેઠક
  • 5:00-7:00 PM: સામાજિક આગેવાનો અને મહેમાનો સાથે બેઠક
  • 8 માર્ચ: કાર્યકર્તાઓ સાથે સંવાદ અને 2:00 PM બાદ દિલ્હી રવાના

ગુજરાત કોંગ્રેસ માટે આવનારા મહિનાઓ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. 64 વર્ષ બાદ ગુજરાતમાં એ મહત્ત્વપૂર્ણ અધિવેશન થશે, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ અને દેશભરના 3000 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાત વિધાનસભાની આગામી 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે અને રાહુલ ગાંધીના આ પ્રવાસથી ગુજરાત કોંગ્રેસને નવા ઉર્જાથી ભરવા પ્રયાસ કરવામાં આવશે.