ઇસ્કોન મંદિર અને સોલા ભાગવત વિદ્યાપીઠમાં જન્માષ્ટમી મહામોહત્સવ ની તૈયારીઓ શરૂ…

જન્માષ્ટમીના તહેવારને હવે માત્ર ગણતરી ના દિવસો બાકી છે. ત્યારે શહેરના કૃષ્ણ મંદિરોમાં અત્યારથી જન્માષ્ટમી માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના ઇસ્કોન મંદિર અને સોલા ભાગવત વિદ્યાપીઠમાં લાલાના વધામણાનું સવિશેષ આયોજન ચાલી રહ્યું છે.

એસ.જી હાઈવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. દર વર્ષે આશરે ૨ લાખ થી વધારે શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન કરે છે. આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા તા. ૦૭-૦૯-૨૦૨૩ થી ૧૦-૦૯-૨૦૨૩ સુધી જન્માષ્ટમી તહેવાર ઉજવાશે.

મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદ દાસ કહે છે કે, જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મંદિરના પરિસરમાં ડિજિટલ સ્ક્રીનથી પણ દર્શન કરી શકાશે. અમદાવાદ ના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.

જનમાષ્ટમીના દિવસે સવારે ૦૪:૩૦ વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે ત્યારબાદ ૦૭:૩૦ વાગ્યે ભગવાનને વૃંદાવન થી આવેલ વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવશે. મંદિરમાં વરિષ્ઠ ભકતો દ્વારા કૃષ્ણ કથા કરાશે. સવારે ૯ થી રાત્રી ના ૧ વાગ્યા સુધી ૧૧૦૦૦ હરિનામ સંકીર્તન જપયજ્ઞ અને અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન  કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહને ૪૦૦ કિલોથી વધુ વિવિધ જાતના ફૂલોથી શણગારવામાં આવશે.

મંદિરને ગોકુલ થીમ થી શણગારવામાં આવ્યું

સમગ્ર મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરના ભક્ત પ્રહલાદ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સાંજે મંદિરની પાછળ ગાર્ડનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સમગ્ર મંદિરને ગોકુલ થીમ થી શણગારવામાં આવ્યું છે.  રાત્રીના ૧૧:૩૦ કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ પ્રકારના ફળોના રસો દ્વારા મહા-અભિષેક કરવામાં આવશે અને પછી ૧૨:૩૦ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને ૧૦૦૮ વિવિધ વાનગીઓ જેમ કે મૅક્સિકેન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે. જન્માષ્ટમીના દિવસે તમામ દર્શનાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે નંદોત્સવના દિવસે મંદિર પ્રસાશન દ્વારા ૧૦,૦૦૦ લોકોનું ભંડારા- પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ્દ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીના ૧૨૭મા આવિર્ભાવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે. અને બપોરે ૧૨ વાગ્યે તમામ ભક્તો માટે પ્રસાદ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાગવત વિદ્યાપીઠમાં  પણ ઉત્સવની તૈયારીઓ

શ્રાવણ વદ આઠમ, તા.7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મહોત્સવની ભાગવત વિદ્યાપીઠ-સોલા ખાતે ખૂબ જ ભિકતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. બીજા દિવસે નંદ મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે.

 

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભાગવત વિદ્યાપીઠના શ્રી ભાગવત ઋષિજી કહે છે કે,  વિદ્યાપીઠ ખાતે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે.

ગુરુવારે રાત્રે 8.30 થી ૧૧.૪૫ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાત્રે ૧૨ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા થશે.

તા.8 સપ્ટેમ્બર, શુક્રવારે નંદ મહોત્સવની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે. જે અંતર્ગત સવારે ૯:30થી ૧૦:30 નંદ મહોત્સવ ઉજવાશે. દરમિયાન ઠાકોરજીને ચાંદીના પારણે ઝૂલાવવામાં આવશે.

હેતલ રાવ