ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે એ સાહિત્ય પરિષદની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં પ્રકાશ ન. શાહ 562 મત મેળવી પ્રમુખપદ વિજેતા જાહેર થયા છે. તેમને કુલ 1292 મતોમાંથી 562 મતો પ્રાપ્ત થયા હતા. એ પછી તેમના હરીફ ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 તથા હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા હતા. કુલ 1337 મતોમાંથી 45 મતો રદબાતલ જાહેર થયા હતા.

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી રહેશે. સાહિત્ય પરિષદના પ્રમુખપદે આ પહેલા સિતાંશુ યશશ્ચંદ્ર હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની આ ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.

આમ તો મોટે ભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં પ્રકાશ ન. શાહનો વિજય થયો છે. ચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદીએ પ્રકાશ ન. શાહના સર્વાધિક 562 મત જાહેર કર્યા હતા.