PM મોદી ગુજરાતીઓને આપશે દિવાળી ભેટ, 4800 કરોડના વિકાસકાર્યોનું થશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ગુજરાતના મહેમાન બનશે. આ ગુજરાત પ્રવાસ દરમિયાન PM  ગુજરાતીઓને દિવાળી પર વિકાસકાર્યોની ભેટ આપશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લામાં 4800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લામાં વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી 705 કરોડના પાણી પુરવઠા વિભાગના  વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ સાથે તેઓ અમરેલીના ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે બનેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે, 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જ સહિતના એક હજાર કામોનું ખાતમુહૂર્ત અને 590 કામોનું લોકાર્પણ કરશે. આ સિવાય 2800 કરોડ રૂપિયાથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 1094 કરોડના ખર્ચે રેલ વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 705 કરોડના વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  જેના કારણે બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.

પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લિટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે.