પાંજરાપોળ વિસ્તારમાં બીજા ફ્લાયઓવર બ્રિજની જરૂર નથી: HC

અમદાવાદ: પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી AMC દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે એક ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવાની યોજના બહાર આવી હતી. આ બ્રિજ બનવવા માટે નડતર રૂપ બનતા વૃક્ષોને લઈ વિવાદ સર્જાયો હતો. ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો સહિતના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં ગંભીર અને મહત્વની નોંધ લીધી હતી.

હાઇકોર્ટે પાંજરાપોળ જંકશનથી ડો.વિક્રમ સારાભાઈ માર્ગ(આઇઆઇએમ રોડ) પર ફ્લાય ઓવરના નિર્માણ માટેની પ્રક્રિયા-નિર્ણય સંબંધી તમામ રેકોર્ડ અને મટીરીયલ્સ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો. અ.મ્યુ.કો.એ અમદાવાદના રસ્તાઓ અને જંક્શનના ટ્રાફિકને લઈ દેશની જે બે સર્વોચ્ચ નિષ્ણાત સંસ્થા આઈઆઈટીરામ અને સીએસઆઈઆરની પાસેથી રિપોર્ટ મંગાવ્યા હતા. તે અંગે હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નોંધ લેતાં ટાંક્યુ હતું કે, ‘આ રિપોર્ટ પ્રમાણે, પાંજરાપોળ જંકશન પર ટ્રાફિકની એવી મોટી સમસ્યા નથી. આ ઉપરાંત અહિં ફ્લાયઓવરની કોઈ જરૂરિયાત જ જણાતી નથી.”’

આ ઉપરાંત હાઈકોર્ટમાં પાંજરાપોળ વિસ્તારમાં બ્રિજ બનાવવા મામલે કેટલાક જરૂરી મુદ્દા રજુ કરવામાં આવ્યા છે. જેમાં પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી ફ્લાય ઓવરની કોઈ જરૂર નથી, કારણ કે, પહેલેથી જ એક ફલાય ઓવર છે. આ ફલાય ઓવર નિર્માણ માટે વર્ષો જૂના અને પ્રાચીન વૃક્ષોનું આડેધડ છેદન થશે, જે પર્યારવણીય દ્રષ્ટિકોણથી કોઈ સંજોગોમાં ના ચાલે. આ સમગ્ર વિસ્તાર ગ્રીન કવર છે અને વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોના કારણે ગ્રીન કવરથી હરિયાળો છે. અ.મ્યુ.કો સત્તાધીશો તેમના અણઘડ આયોજન હેઠળ આ હરિયાળા ગ્રીન કવરનું નિકંદન કાઢવા માંગે છે, જેની મંજૂરી આપી શકાય નહીં. વર્ષ 2012ના વર્ષ કરતાં 2020માં આ રોડ પરનો ટ્રાફિક 15 ટકા સુધી ઘટ્યો છે. અમદાવાદ શહેરમાં 2011થી 48 ટકા જેટલું ગ્રીન કવર ઘટી ગયું છે. આ બ્રિજ બનાવવા જે રણજીત બિલ્ડકોન કંપનીને કોન્ટ્રાકટ અપાયર્યો છે, તેનો ટ્રેક રેકોર્ડ સારો નથી. કોઇપણ રીતે આ ફલાય ઓવરની જરૂરિયાત નહીં હોવાથી હાઈકોર્ટે તેના નિર્માણ માટેની મંજૂરી આપવી જોઇએ નહીં.