ઝાલાવાડના આ પ્રગતિશીલ ખેડૂત ખારેકની ખેતી કરી બન્યા કરોડપતિ!

સુરેન્દ્રનગર: કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષના ધરતીપુત્રો સુખી – સમૃધ્ધ બને તે માટે વડાપ્રધાન મોદીએ વર્ષ-૨૦૨૨ સુધીમાં ભારતના ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. જેના પરિણામે ગુજરાતના ખેડૂતો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ આર્થિક રીતે સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યાં છે.

જગતના તાત હવે ચીલા ચાલુ ખેત પદ્ધતિમાંથી બહાર આવી, વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેની ખેતી અપનાવી, બાગાયતી પાકોના વાવેતર થકી મબલખ કમાણી કરી રહ્યા છે. આ ખેડૂત પૈકીના એક પ્રગતિશિલ ખેડૂત એટલે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામના ખેડૂત લક્ષ્મણભાઈ પટેલ.

વર્ષોથી પરંપરાગત ખેતી કરતાં લક્ષ્મણભાઈની ૮ વર્ષ પહેલા બાગાયત વિભાગના અધિકારી સાથે મુલાકાત થઈ અને તે મુલાકાતે તેમની પરંપરાગત ખેતીના ખ્યાલને ધરમૂળમાંથી બદલી નાખ્યો. લક્ષ્મણભાઈ જણાવે છે કે, મારે ૫૦ વિઘા જમીન છે. જેમાં ૨૦૧૩-૧૪ ના વર્ષ સુધી હું પરંપરાગત ખેત પદ્ધતિ થકી ચીલા ચાલુ પાક લેતો હતો. તેવા સમયે મને સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારીનો સંપર્ક થયો અને તેમના માર્ગદર્શન થકી મે મારી આ ૫૦ વિઘા જમીનમાં ટીસ્યુકલ્ચર (બારાહી) ખારેકના છોડનું વાવેતર કર્યું.

બાગાયતી ખેતીના તેમના ૮ વર્ષના અનુભવોની ગાથા વર્ણવતાં લક્ષ્મણભાઇ કહે છે કે, મેં ૨૦૧૩-૧૪ના વર્ષમાં ટીસ્યુકલ્ચર (બારાહી) ખારેકના ૧ છોડના રૂપિયા ૨૫૦૦ લેખે ૧૦૫૦ છોડ મંગાવ્યા. જેમાં મને સરકારની બાગાયત વિભાગની યોજના અન્વયે પ્રતિ છોડ રૂપિયા ૧૨૫૦ ની સબસીડી પણ મળી છે. ખારેકના આ છોડનું મેં બાગાયત અધિકારીના માર્ગદર્શન મુજબ વાવેતર કર્યું.

ખારેકના છોડના વાવેતર બાદના શરૂઆતના ૩ વર્ષની લક્ષ્મણભાઈની મહેતન અને તેમણે છોડની કરેલી માવજતનું પરિણામ તેમને ચોથા વર્ષથી જ મળવાનું શરૂ થયું. ખારેકના ઉત્પાદનની વિગતો આપતા તેઓ જણાવે છે કે, ખારેકનો એક છોડ સરેરાશ ૧૫૦ કિલો ઉત્પાદન આપે છે. તેથી જ ઉત્પાદનના પ્રથમ વર્ષે જ મને ખર્ચો કાઢતાં અંદાજે રૂપિયા ૧૮ લાખનો નફો થયો. ત્યાર બાદના વર્ષોમાં ક્રમશ: રૂપિયા ૨૬ લાખ, રૂપિયા ૫૭ લાખ અને રૂપિયા ૮૧ લાખનો નફો મને મળ્યો. આ વર્ષે મને રૂપિયા ૧.૨૫ કરોડના નફાની આશા હતી. પરંતુ કોરોનાના કારણે વિમાની સેવા બંધ હોવાથી અમે અમારી ખારેક બેંગલુરુ, કોલકાતા અને પોંડીચેરી જેવા રાજ્યોમાં એક્સપોર્ટ કરી ન શક્યા તેમજ વરસાદના કારણે ખારેકનો પાક બગડતા અમારી ધારણા કરતાં ૫૦ ટકા નફો ઓછો મળશે. તેમ છતાં પણ આ વર્ષે અમારી વાડીમાં ૧૫૦ ટન ખારેકનું ઉત્પાદન થશે જેની બજાર કિંમતને ધ્યાને લેતા અમને લગભગ ૬૦ લાખ રૂપિયાની આવક થશે.

બાગાયત વિભાગની સહાય થકી ખારેકના વાવેતરથી લઈને તેના ઉત્પાદન સુધીની લક્ષ્મણભાઈની સફરને વર્ણવતાં સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત અધિકારી ચંદ્રેશ પટેલે જણાવ્યું હતું કે, લક્ષ્મણભાઈને ટીસ્યુકલ્ચર ખજૂરના વાવેતર માટે આર.કે.વાય. અંતર્ગત અઢી હેક્ટરમાં વાવેતર માટે સહાય આપવામાં આવી હતી. જેમાં ક્રમશ : તેમણે વાવેતર વધારીને તેની માવજત થકી ખૂબ સારૂં ઉત્પાદન મેળવી રહ્યાં છે.

જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક વિજ્ય કાલરિયાએ જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતોની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો પણ બાગાયતી પાકો તરફનો ઝૂકાવ વધ્યો છે. જિલ્લામાં ટીસ્યુકલ્ચર ખારેકના વાવેતરની વાત કરીએ તો, જિલ્લામાં હાલમાં ૪૦ થી ૫૦ હેકટરમાં વાવેતર થયું છે. આ ખારેકનો વાવેતર વિસ્તાર વધે અને ખેડૂતો ચીલાચાલુ પાકોના બદલે ટીસ્યુકલ્ચર ખારેકના વાવેતર તરફ વળે તે માટે બાગાયત વિભાગ દ્વારા સહાય પણ આપવામાં આવે છે.

ખેડૂતોની બાગાયત પાકોના વાવેતરની પ્રતિબધ્ધતાનું ખૂબ જ સારૂ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહ્યું છે.