રાજ્યમાં નવરાત્રિ ઊજવવા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ

અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રિ આરાધનાના દિવસોની સાથે ઉત્સવ અને મહોત્સવની જેમ ઊજવાય છે. ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દેશમાં કોરોના વાઇરસની અસરો ઘટતાં જ આ વર્ષે તમામ તહેવારો, ઉત્સવોની રંગેચંગે ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે ગણેશોત્સવ હોય કે નવરાત્રિ તહેવાર -બમણા ઉત્સાહથી લોકો બહાર આવી રહ્યા છે. નવરાત્રિને ઊજવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. રાસ-ગરબાની તાલીમ આપતાં ટ્રેનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. શહેરમાં જુદા-જુદા ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી અજમાવી રહ્યા છે.

અમદાવાદમાં  ‘પનઘટ પર્ફોર્મિંગ આર્ટ’ સાથે જોડાયેલા ગરબાના ગ્રુપ દ્વારા રાસ-ગરબાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દેશ-વિદેશમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે.

પનઘટ પર્ફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે અમારું ‘ગરબા ગ્રુપ’  દેશનાં જુદા-જુદા રાજ્યો ઉપરાંત વિદેશમાં આપણી ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતાં રાસ-ગરબાના શો પરફોર્મ કરી આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. બે વર્ષના કોરોનાના કપરાંસમય પછી આ વર્ષે સૌ ગરબાપ્રેમી લોકો નવરાત્રિની ઉજવણી કરવાનો ભારે ઉત્સાહ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)