રથયાત્રાનો રૂટ કેટલો બદલાયો ?

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદમાં ભાવિકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે વાત કરીએ રથયાત્રાના રૂટ વિશે. પહેલા અને હાલના રૂટમાં ફેરફાર થયો છે.

 ચિત્રલેખા.કોમ સાથે રથયાત્રાના રૂટ વિષે વાત કરતા ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરી કહે છે કે, “રથયાત્રાની શરૂઆતના વર્ષોમાં મંદિરના સાધુ-સંતો, ભજન-મંડળીઓ, નિશાન, ગજરાજો અને બેન્ડ રથયાત્રામાં જોડાતા હતા પરંતુ પાછળથી અખાડાઓ અને ટ્રકો પણ તેમાં જોડાઈ અને દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. સમયની સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા ગયા અને રથયાત્રાની પરીક્રમાના માર્ગ બદલાતા રહ્યા છે.”

પહેલાનો માર્ગ..

1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી. ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. ત્યાર પછી રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર,  માધુપુરા,  દિલ્હી દરવાજા,  શાહપુર દરવાજા,  દિલ્હી ચકલા, કૃષ્ણ સિનેમાં હાલનું  ઘી કાંટા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. વર્તમાન સમયમાં રતનપોળમાં જઈએ ત્યારે એટલી ભીડ હોય છે કે એ માનવું પણ અકલ્પ્ય લાગે કે એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી હતી.

અત્યારનો માર્ગ..

વર્તમાન સમયની વાત કરીએ તો રથયાત્રાના માર્ગમાં ઘણો મોટો બદલાવ આવ્યો છે. હવે સવારના સાત વાગે મંદિરેથી રથયાત્રાની શરૂઆત થયા બાદ ખમાસા ગેટ, મ્યુનિસિપલ કચેરી, આસ્ટોડિયા ચકલા, રાયપુર, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, ડૉ. આંબેડકર હોલ, સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયા થોડો સમય વિરામ લીધા પછી રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુર ચાર રસ્તાથી ડૉ.આંબેડકર હોલ, કાલપુર સર્કલ,  જોર્ડન રોડ,  દિલ્હી ચકલા,  હલીમની ખડકી, શાહપુર દરવાજા,  શાહપુર ચકલા, રંગીલા ચોકી,  ઘીકાંટા રોડ,  પાનકોરનાકા,  ફુવારા, આર.સી. હાઇસ્કૂલ, માણેકચોક, ગોળલીમડા, દાણાપીઠ, ખમાસા થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરે છે.

નોંધનીય છે કે રથયાત્રાના રૂટ બદલાયો છે પરંતુ રથને હાંકનાર ખલાસી ભાઈઓની પરંપરા આજે પણ અકબંધ છે. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નરસિંહદાસજીના ભક્તો હતા એમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.