દ્વારકા: દ્વારકા ખાતે પાછલા ઘણા સમયથી સરકારી જમીનો પર ગેરકાયદે બંધાયેલા બાંધકામ તોડવાની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. જેને લઈ હાઈકોર્ટે દબાણો હટાવવાની પ્રક્રિયાને રોકતી તમામ અરજી ફગાવી દીધી છે. બેટ દ્વારકામાં સ્થિત આ મદરેસાઓ, દરગાહો તેમ જ મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી રિટ અરજીઓ મંગળવારે (ચોથી ફેબ્રુઆરી) જસ્ટિસ મોના એમ. ભટ્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ પણે જણાવ્યું કે, ‘આ કેસમાં તમામ રિટ અરજીઓ ગુણદોષ વિનાની હોઈ ફગાવી દેવામાં આવે છે.’
ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને પગલે બેટ દ્વારકામાં કથિત ધાર્મિક સ્થાનોના ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો-દબાણાને દૂર કરવાનો રસ્તો સ્થાનિક સત્તાવાળાઓ માટે મોકળો બન્યો છે. અરજદાર બેટ ભાડેલ મુસ્લિમ જમાત તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓમાં એવો દાવો કરાયો હતો કે, વિવાદીત બાંધકામો અને સ્થાનો એ ધાર્મિક છે અને સમુદાયની લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. જેમાં કેટલીક દરગાહો અને મદરેસાઓ પણ સામેલ છે. તો જમીનનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે પણ થાય છે. આ વિવાદીત પ્રોપર્ટી વકફ એકટ હેઠળ આવરી લેવાયેલી છે, તેથી વકફ પ્રોપર્ટીને સત્તાવાળાઓ તોડી શકે નહીં. જો કે, રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્ક અને મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, ‘વિવાદીત ધાર્મિક સ્થાનો (મદરેસાઓ, દરગાહ કે મસ્જિદ) કોઈ વકફ પ્રોપર્ટી નથી, પરંતુ વાસ્તવમાં એ સરકારી અને ગૌચરની જમીન પર ઊભા કરાયેલા ગેરકાયદે અને અનઅધિકૃત બાંધકામો છે. વળી, વકફ પ્રોપર્ટી હોવા અંગેનો કોઈ પુરાવો સરકારી રેકોર્ડ કે દસ્તાવેજમાં સામે આવ્યો નથી કે અરજદારપક્ષ પણ તે રજૂ કરી શકયા નથી. પીટીઆર(પબ્લીક ટ્રસ્ટ રજિસ્ટર)ના રેકોર્ડમાં પણ વિવાદીત મિલ્કોવાળી સર્વે નંબરની જમીનનો સમાવેશ નથી. આ જમીન સરકારી જગ્યા છે અને જો તે કબ્રસ્તાન માટે જે તે વખતે અપાઈ હોય તો પણ તેનાથી તે વકફ પ્રોપર્ટી બની જતી નથી. ખુદ સરકારના જ 17-8-1984 અને 12-9-1989ના ઠરાવો મુજબ, જો કોઈ ચોક્કસ હેતુ માટે જમીન ફાળવાઈ હોય તો પણ તેની માલિકી રાજ્ય સરકારની જ છે. તેથી કોઇપણ કમીટી, ટ્રસ્ટ કે વકફ આ જમીન તેઓના નામે ટ્રાન્સફર કરી શકે જ નહી. ચોંકાવનારી વાત તો એ છે કે, ચેરિટી કમિશનર કે સ્થાનિક સત્તાવાળાઓની કોઈ મંજૂરી લીધા વિનાજ આ જમીનો પર મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને અનઅધિકૃત દબાણો કરી દેવાયા છે.