હાઈકોર્ટે સરકાર અને પોલીસની કરી ટીકા, FIR પહેલાં તપાસ કેવી રીતે થઈ શકે?

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સરકાર અને પોલીસનો ઉધડો લીધો છે. વાત એમ છે કે ભાજપના પ્રાંતિજના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની કથિત ફરિયાદ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બાદ ધારાસભ્યને કલીનચિટ્ આપવામાં આવી હતી. જે બાદ પીડિતા મહિલા તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે જસ્ટિસ નિરલ આર.મહેતાએ ધારાસભ્યને બચાવવાના પોલીસ અને સરકારના થઇ રહેલા પ્રયાસની ભારોભાર ટીકા કરી હતી. આપને જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ દુષ્કર્મ સહિતના ગંભીર આક્ષેપો કરતી અરજી વર્ષ 2021માં ગાંધીનગર પોલીસમથકમાં આપી એફઆઇઆર દાખલ કરવા પોલીસને વિનંતી કરી હતી.

હાઈકોર્ટે પોલીસ સહિત સરકારનો ઉધડો લેતા જણાવ્યું કે, મહિલા બ્લેકમેઇલ કરી રહી હોવાના બહાને તમે ધારાસભ્યનો બચાવ કરો છો..? વળી, દુષ્કર્મના આક્ષેપોનો આ ગંભીર કેસ છે છતાં પોલીસે કેમ ફરિયાદ નોંધી નથી..? અને ફરિયાદ પહેલા તપાસ કેવી રીતે થઈ શકે..? દુષ્કર્મના ગંભીર કેસમાં પોલીસે સૌપ્રથમ તો એફઆઈઆર જ દાખલ કરવી પડે. તેમ કરવાને બદલે પોલીસે ઉલ્ટાનું એફઆઈઆર પહેલાં તપાસ કરી ઇન્કવાયરી બાદ ધારાસભ્યને કલીનચિટ્ પણ આપી દીધી. ધારાસભ્યને બચાવવા માટે એફઆઇઆર પહેલાં તપાસ કેવી રીતે થઈ શકે…? હાઇકોર્ટે આ સમગ્ર મામલે સોમવારે જવાબ રજૂ કરવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. છેતરપીંડી અને વિશ્વાસઘાતના બનાવમાં પોલીસ પહેલા તપાસ કરે એ સમજી શકાય. પરંતુ પોલીસે આ કેસમાં ગુનાની તપાસ કરવાના બદલે મહિલાના અંગત જીવનની તપાસ કરી છે.

સરકાર પક્ષના વકિલે દલીલ કરતા જણાવ્યું કે, મહિલાને તપાસના કામે નિવેદન માટે ચાર વખત બોલાવાઈ હતી પરંતુ સમાધાનની વાતો ચાલતી હોવાથી તે પોલીસ સમક્ષ હાજર થઈ નહોતી. એ પછી મહિલાએ એફિડેવીટ આપી હતી કે, તેને આ કેસમાં સમાધાન થઇ ગયુ છે અને આગળ વધવુ નથી. જો કે, એક વર્ષ બાદ હવે તે ફરિયાદ કરવાનું કહે છે. મહિલા દ્વારા બ્લેકમેઇલીંગનો આ ત્રીજો પ્રયાસ છે.