ગુજરાત: બે વર્ષમાં 15 હજારથી વધુ નવજાત શિશુઓના મોત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા સત્રમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકાર જણાવ્યું કે, છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 બાળકનો જન્મ થયો હતો અને તેમાના 15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હતા.

આમ દરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. અમદાવાદની સરકારી હોસ્પિટલમાં સૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. ત્યારબાદ વડોદરા 2362 અને સૂરતમાં 1986 બાળકો મોતને ભેટ્યા. આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ હતા. જ્યારે આરોગ્ય તપાસ દરમ્યાન અમદાવાદ જિલ્લામાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માંથી 158 જગ્યાઓ ખાલી પડી છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે. યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.