લાખો સરકારી કર્મચારી-પેન્શનરોને આનંદ આનંદ, ડીએમાં થયો મોટો વધારો

ગાંધીનગર– રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેનો અમલ 1 જાન્યુઆરી 2019થી લાગુ પડશે. જે જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે ચૂકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૦૭૧ કરોડનું વધારાનું ભારણ પડશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, સરકારે સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણાં પંચના લાભો મંજૂર કર્યાં છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચૂકવવામાં આવે છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના, પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ તથા કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યાં છે. ભારત સરકાર દ્વારા ૦૧.૦૭.૨૦૧૮ થી ૨ ટકા મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે ૯ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ ૦૧.૦૧.૨૦૧૯ થી વધુ ૩ ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે વધુ ૩ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય કર્યો છે અને જુલાઇ-૨૦૧૯ ના પગારની ચૂકવણી સાથે આ ૩ ટકા મોંઘવારી ભથ્થાંનો વધારો ૦૧.૦૧.૨૦૧૯થી ગણીને, જુલાઇ-૨૦૧૯ ના પગાર સાથે તેનું રોકડમાં ચુકવણું કરવામાં આવશે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૦૭૧ કરોડ જેટલું ભારણ વધશે.