ગુજરાતમાં કોરોનાના ત્રણ નવા કેસ સાથે 58 પોઝિટિવ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો. આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ સિવાય 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

તાજેતરના આંકડા પ્રમાણે, કોરોના વાયરસના કારણે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ડો.જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.