ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય ચકાસણીનું આયોજન

અમદાવાદઃ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘’મિશન બ્રેઇન ઇન્ડિયા” વેસ્ટ ઝોન ચેપ્ટરના સહકારથી ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા, સેક્ટર-૨માં શાળાનાં બાળકોની “નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉદગમનાં સેવાકાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે ઉદગમ દ્વારા જરૂર જણાય, ત્યાં નગરની સરકારી પ્રાથમિક શાળાઓનાં વંચિત બાળકોના ભવિષ્ય નિર્માણ સારું સતત કાર્ય કરવામાં આવે છે, તેના ભાગરૂપે સેક્ટર-બે સરકારી પ્રાથમિક શાળાનાં બાળકોની “નિ:શુલ્ક આરોગ્ય ચકાસણી” કાર્યક્રમનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૯ના નગરસેવક રાજુભાઈ પટેલએ હાજરી આપીને ટીમ ઉદગમને પ્રોત્સાહિત કરી, ભવિષ્યમાં સેવાકાર્યમાં પોતાના પૂરા સહકારની ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં શાળાનાં ૧૭૬ બાળકોની બાળરોગ-નિષ્‍ણાત ડૉકટરો દ્વારા, સામાન્ય આરોગ્ય ચકાસણી, દાંત, કાન-નાક-ગળાના સર્જન, ચામડીના રોગોના નિષ્‍ણાતો દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી બાદ બાળકોને સ્વાસ્થ્યને લગતી જરૂરી પ્રાથમિક માહિતી આપી, મદદ અને જરૂરી ફોલોઅપ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સૌમ્ય જોશી, ડો. ફ્રેની શાહ, બાળરોગ-નિષ્‍ણાત ડો. દક્ષમ, ડો. નિહાર ગોસાઈ અને મેડિકલના ૨૮ વિદ્યાર્થીઓએ સેવા આપી હતી. એ સાથે ઉદગમ ટ્રસ્ટના મનોજભાઈ જોષી, જયપ્રકાશભાઈ ભટ્ટ, આશાબહેન સરવૈયા, હિમાંશુ મકવાણા, શાળાનાં આચાર્ય મીનાક્ષીબહેન ઉપાધ્યાય અને શાળા પરિવાર એ ખૂબ જહેમત ઉઠાવી બાળઆરોગ્ય ચકાસણી કાર્યક્રમને સફળતાના શિખર પર ચડાવી દીધો હતો.  કલ્પનાબહેન ત્રિવેદી અને પ્રજ્ઞાબહેન પટેલ ખાસ હાજરી આપીને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં તમામ બાળકોને પૌષ્ટિક દૂધ અને જ્યુસનું વિતરણ કરી બાળકોને ખુશ કરી દીધાં હતાં.