શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષના જીવન કવન પર આધારિત વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું  જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા બે વિભાગમાં યોજાશે, જેમાં વિભાગ “અ”માં ૧૫ વર્ષથી ઉપરના અને ૧૯ વર્ષ સુધીના તેમજ વિભાગ “બ”માં ૧૯ વર્ષ ઉપરના અને ૩૫ વર્ષ સુધીના ભાગ લઇ શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમદાવાદ, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૭ માળ રવિશંકર રાવળ કલાભવન લો-ગાર્ડન,અમદાવાદ ખાતેથી મેળવીને તા.૧૪/૦૨/૨૦૨૩ સુધી પરત મોકલવાનું રહેશે. જેમાં જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે.

રાજ્યકક્ષાની ત્રણેય સ્પર્ધામાં વિજેતા થયેલ પ્રથમ 10 સ્પર્ધકોને વિનામૂલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકારના ખર્ચે લઇ જવામાં આવશે વધુ વિગત માટે અત્રેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.