વડોદરા રોગચાળાના ભરડામાં, એક દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા

વડોદરા: ગુજરાતમાં ચોમાસાએ લગભગ વિદાય લય લીધી છે. પરંતુ ભારે વરસાદના કારણે રાજ્યમાં પાછલા કેટલાક સમયથી રોગચાળાએ માથુ ઉચક્યું છે. ત્યારે વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાતા ફફડાટ જોવા મળ્યો હતો. વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાયેલા ખાબોચીયામાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો વકરી રહ્યો છે અને વડોદરા રોગચાળાના ભરડામાં આવી રહ્યું છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટીના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો હોય તેમ દૈનિક 500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ચિકનગુનિયા, કમળા અને ટાઈફોઈડ તેમજ મેલેરિયાના કેસ વધ્યા છે. આ સમયે હાલ વાતાવરણમાં બેવડી ઋતુઓની અનુભૂતી થઇ રહી છે. સાથે ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં ઠંડીની શરૂઆત થઇ જવી જોઇએ તેના બદલે હાલ ગરમી પડી રહી છે. ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યુ છે આથી બિમારીએ માથુ ઉચક્યુ છે. શહેરમાં પાણી જન્ય રોગચાળાએ માથું ઉચક્યા બાદ હવે મચ્છરજન્ય રોગચાળા અને વાઇરલ ઈન્ફેક્શનનાં કેસમાં વધારો થયો છે. શહેરમાં શરદી-ખાંસી, તાવ અને વાઇરલ ઈન્ફેક્શનના કેસોમાં ઉછાળો આવ્યો છે. આ સાથે મલેરિયા અને ડેંગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. વડોદરામાં શંકાસ્પદ ડેન્ગ્યુના 72 કેસ નોંધાયા છે. તો મેલેરિયાના શંકાસ્પદ 1605 દર્દી છે જ્યારે 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. વાયરલ ફીવરના 453 દર્દીઓ નોંધાયા છે. ચિકનગુનિયાના શંકાસ્પદ 33 દર્દી, 1 પોઝિટિવ દર્દી છે. કમળાના 2 દર્દી અને ટાઈફોઈડનો 1 દર્દી નોંધાયો છે. આ સિવાય નાની મોટી બિમારીની સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.