અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોનાના ફેલાવા વચ્ચે મુખ્ય ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો જે આજે સવારે 6 વાગ્યેથી હટાવી લેવામાં આવ્યો છે. આ શહેરોમાંથી કર્ફ્યુ હટાવી દેવામાં આવ્યો છે પરંતુ લોકડાઉનનો અમલ તો ચાલુ રહેશે.
કર્ફ્યુ હટતા જરૂરી સામનની ખરીદી માટે લોકો ઘરની બહાર નીકળી શકશે. ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું કે, ત્રણેય શહેરોમાં લોકડાઉન પ્રભાવશાળીરૂપથી લાગુ રહ્યું છે. મહત્વનું છે કે, આ ત્રણેય શહેરોમાં કોરોના વાઈરસના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે તંત્રએ આ વિસ્તારોમાં કડક પગલા લેવાનો નિર્ણય કર્યો હતો. માત્ર અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 1500ને પાર પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.
તો બીજી તરફ આજે કર્ફ્યુ હટતાની સાથે અમદાવાદ શહેરના કોરટ વિસ્તારમાં લોકડાઉનના નિયમો નેવે મુકી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આજે સવારથી જ સામાન્ય દિવસની જેમ લોકની ભીડ જોવા મળી હતી.
