દ્વારકા: મહાશિવરાત્રિના એક દિવસ બાકી છે, મહાદેવના મહા પૂર્વને લઈ શિવાલયોમાં ઘોડાપુર ઉમટ્વાનું શરૂ થઈ ચૂક્યું છે. આ વચ્ચે દેવભૂમી દ્વારકામાં શિવભક્તોની આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા છે. જિલ્લાના હર્ષદમાં દરિયાકિનારે આવેલા ભીડ ભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ અને SRD જવાનો મંદિરે તપાસ માટે પહોંચ્યા હતાં. આ તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું છે.
આખી વાત એમ છે કે, દ્વારકાના હર્ષદ દરિયાકાંઠે ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા હતા. મંદિરમાં પૂજા-અર્ચના કરનારા ભક્તો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને SRDના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી શિવલિંગ મળી આવ્યું છે. જોકે, શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે. હાલ, મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસામાજિક તત્ત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતાં તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હાલ, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ આ કૃત્ય કરવા પાછળનું કારણ પણ શોધવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
