રાજ્યમાં કોરોનાના 95 કેસઃ અમદાવાદના જ 38

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો રોજ-રોજ વધતા જઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોના વાયરસ અંગેના લેટેસ્ટ અપડેટ આજે આપતા આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે 3 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 95 કેસ થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 10 દર્દી સાજા થયા છે. નવા કેસમાં આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. જ્યારે કે આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.
અમદાવાદ 38 કેસ, સુરત 12, રાજકોટ 10, વડોદરા 9, ગાંધીનગર 11, ભાવનગર 7, કચ્છ 1, મહેસાણા 1, ગીરસોમનાથ 2, પોરબંદર 3, પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.

વડોદરાના 78 વર્ષના જે દર્દી મૃત્યુ પામ્યા છે તેઓને અન્ય બીમારીઓ પણ હતા. અમદાવાદના તમામ 7 પોઝિટિવ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. અમદાવાદના કેસમાં 17 વર્ષના પુરુષ, 60 વર્ષની મહિલા, 35 વર્ષના પુરુષ, 30 વર્ષની મહિલા તેમજ 7 વર્ષની બાળકી તેમજ 68 વર્ષના પુરુષ પણ (દિલ્હી ટ્રાવેલ કરીને આવ્યા હતા. આ ઉપરાંત 65 વર્ષના એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, કુલ 95 પોઝિટિવ કેસ ગુજરાતમાં છે. જિલ્લાવાઈઝ જોઈએ તો સૌથી વધુ 38 કેસ અમદાવાદમાં છે.

તેમણે જણાવ્યું કે, રાજકોટ એઈમ્સ માટે 43 વેન્ટિલેટર મોકલવામાં આવ્યા છે. તેનો ઉપયોગ કોરોના માટેની હોસ્પિટલમાં કરવામાં આવશે. 228 બાળકો સહિત 332 યુનિટ બ્લડ થેલેસેમિયાના દર્દીને ચઢાવવામાં આવ્યા છે. 117 બાળકોને તેને લગતી દવાઓ પણ આપવામાં આવી છે. કોવિડમાં મૂળ રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે, જેથી વાયરસના ચેપની શક્યતા ઘટી જાય છે. આયુષ મંત્રાલય દ્વારા પણ સલાહ અપાઈ છે. તમામ સૂચનો ઝીટો બજેટમાં આવે છે. જેમાં ગરમ પાણી પીવું, યોગાસન કરવા, બંને નસ્કોરામાં તલ-નારિયેળનું તલ લગાવવાતી ઈમ્યુન સિસ્ટમ વધે છે. આ ઉપરાંત અનેક ટિપ્સ આપવામા આવી છે.