મોરબી પૂલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર

મોરબીઃ મોરબી પોલીસની દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આત્મસમર્પણ કરી દીધું છે. જયસુખ પટેલે મોરબીના મુખ્ય ન્યાયિક દંડાધિકારીની કોર્ટમાં સરન્ડર કર્યું છે. રાજકોટ પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના પ્રમોટર જયસુખ પટેલની સામે ધરપકડનું વોરન્ટ જારી કર્યું હતું. મેજિસ્ટ્રેટ કોર્ટે પણ પટેલની સામે ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ આરોપપત્ર દાખલ કર્યું હતું. નવ આરોપી પહેલાં જ ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

જોકે કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ જયસુખને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ જયસુખ પટેલ સામે આવતાં જ મૃતકોના પરિવારજનોએ કોર્ટની બહાર હોબાળો મચાવ્યો હતો. મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં 135 લોકોનાં મોત મામલે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે સરન્ડર કરી દીધું છે.

જયસુખ પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે આવતી કાલે સુનાવણી થશે. જોકે આ આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી અને પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી થાય એ પૂર્વે જ જયસુખ પટેલે કોર્ટમાં સરન્ડર કરી દીધું છે. હવે કોર્ટના આદેશ બાદ તેમની ધરપકડ થઈ શકે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.