GPSCના અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલની નિમણૂક

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.

રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતાં GPSCને નવું નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે જો કે, હવે હસમુખ પટેલને પોતાની IPS સેવામાંથી રાજીનામું આપવું પડશે. કારણ કે, કોઈપણ વ્યક્તિ ચાલુ સરકારી સેવાએ બંધારણીય સંસ્થાના ચેરમેન બની શકે નહી. ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.