ગિરનારમાં પાણીની લાઈન અને ટાંકાને મંજૂરી આપો: તનસુખગિરી બાપુ

જૂનાગઢ: સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવો ગિરનાર પર પાછલા કેટલા સમયથી વીજ સમસ્યા અને પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેના લીધે પર્વતના ધર્મસ્થાનો અને યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ પીજીવીસીએલ દ્વારા 11 કેવીની વીજ લાઈન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુએ રાજ્યના મુખ્યમંત્રી અને તંત્ર પાસે એવી અપીલ કરી છે કે, જે વર્ષો જૂની વીજ પુરવઠાની માંગ હતી તેમાં હાલ 11 કેવી વીજ લાઈન કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે, તો આગામી દિવસોમાં નવરાત્રી દરમિયાન વીજ પુરવઠાનું વહેલી તકે લોકાર્પણ કરવાની માગ કરી છે. જેનાથી અંબાજી મંદિર નવરાત્રીના દિવસોમાં માતાજીનું મંદિર ઝળહળતું રહે.

ગિરનાર પર્વત બાબતે વધુમાં તનસુખગિરી બાપુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ભવનાથથી પર્વત ઉપર પાણીની લાઈન નાખીને પૂરતા પ્રમાણ પાણી મળી રહે તેના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, તો તેનું કામ પણ વેહલી તકે શરુ થાય અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ હાલ મંદિર પાસે પાણીના ટાંકાની જરૂરિયાત હોવાથી વેહલી તકે પાણીના ટાંકાની મજૂરી મળે, તો મંદિર દર્શન કરવા આવતા યાત્રિકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થઇ શકે. તેવી મહંત દ્વારા રાજ્ય સરકાર અને તંત્ર પાસે માંગ કરી છે.