ગણતરીની મિનિટો જ પડેલા વરસાદથી અમદાવાદમાં પાણી-પાણી

અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા, ગોતા, ચાંદખેડા એસ.જી. હાઇવે સહિત ઘણાં વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ પડ્યો હતો. શરૂઆતના વરસાદની તીવ્રતાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ગોતા ઔદ્યોગિક વિસ્તાર અને ચાંદલોડિયાથી શાયોના વિસ્તારને જોડતું રેલવેનું ગરનાળું પાણીથી ભરાઇ ગયું હતું.

શાયોના સિટી તરફ જતાં માર્ગ પર આવેલા રેલવે ગરનાળામાંથી પાણી દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પંપ મુકવામાં આવ્યા હતા.

ચાંદલોડિયા ઘાટલોડિયા વિસ્તારને જોડતું ગરનાળું અઢી વર્ષ કરતાં પણ વધારે સમયથી બની રહ્યું છે. પરંતુ રેલવે અને મહાનગરપાલિકાની કામગીરીમાં ઢીલાશને કારણે હજારો વાહનચાલકો હેરાનપરેશાન થઇ રહ્યાં છે. ગરનાળું પાણીમાં ગરકાવ થતાં જ લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડે છે.

આજે અનેક વિસ્તારોમાં ગણતરીની મિનિટોમાં જ પડેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થા ઉઘાડી પડી ગઇ હતી. વરસાદી પાણી ભરાતાં ખાબોચિયા ભરાઇ જાય છે અને ડામરના નબળાં માર્ગો  તૂટી જાય છે.

 – પ્રજ્ઞેશ વ્યાસ