ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ ગણવામાં આવે છે, કેમ કે જ્યારે કોઈ દર્દી બીમારીથી ઝઝૂમી રહ્યો હોય છે, ત્યારે તેની વ્હારે ડોક્ટર જ આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો પર ભરોસો ઉઠી જાય તેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. અમદાવાદની ખ્યાતિમાં મોતને ભેટેલા દર્દીઓને ન્યાય મળ્યો નથી તે પહેલા વધું એક હોસ્પિટલનું છમકલું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદની જ SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલની સાથે હવે અર્ધસરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરૂ કર્યું છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હોસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરૂ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કપાવવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ટ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે. આ ઘટસ્ફોટ બાદ દર્દી SVP માંથી રજા માંગે છે અને કહે છે કે, મારે પગ નથી કપાવવા. ત્યારે હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, તો તમારે 35 હજાર ભરવા પડશે. દર્દી કહે છે કે, મારી પાસે તો આયુષ્યમાન કાર્ડ છે તો હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.
આ ઘટના લગભગ એક અઠવાડિયા પહેલા બની હતી. પરંતુ, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભામાં આ મુદ્દા વિશે વાત કર્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભામાં આ વિશે વાત કરી સરકારની આયુષ્યમાન કાર્ડની યોજનાના અમલીકરણને લઈને પ્રશ્ન કરવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, શું આ પ્રકારે આયુષ્યમાન કાર્ડની યોજના લાગુ કરવામાં આવશે? હાલ, આ મામલે SVP દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. આ તમામ વચ્ચે પ્રશ્ન એ થાયે કે, જ્યાં જીવ બચાવવાની આશાએ ગયા હોય ત્યાં જ અમુક પૈસા માટે માણસના જીવ સાથે રમત કરવામાં આવતી હોય તો લોકો કોના પર વિશ્વાસ કરશે? ખાનગી હોસ્પિટલ બાદ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે હોસ્પિટલનું સંચાલન થતું હોય ત્યાં પણ આવી ઘટના સામે આવે તો લોકો પોતાનું સ્વાસ્થ્ય સુધારવા માટે ક્યાં જશે?
