સામાજિક સાહસ માટે પુરસ્કાર આપવાની અદાણી જૂથની ઘોષણા

અમદાવાદ: વિવિધ ઉદ્યોગોના પોર્ટફોલિઓમાં હરણફાળ ભરી રહેલું દેશનું અવ્વલ નંબરનું અદાણી જૂથ સામાજિક ક્ષેત્રે સાહસ માટેનો ભારતનો આજ સુધીનો સૌથી મોટો વાર્ષિક એવોર્ડ પ્રસ્થાપિત કરશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સામાજિક સાહસિકોને તેમના વિચારો રજૂ કરવા અને તેમના કાર્યોને માટે સુરક્ષિત સમર્થન આપવા માટે આરંભેલા સંવાદના એક પ્લેટફોર્મ અંતર્ગત યોજાયેલી સૌપ્રથમ ગ્રીન ટોક્સમાં આ જાહેરાત કરી હતી.

વર્ષ 2022થી શરૂ થનારા સામાજિક સાહસ માટેના અદાણી પુરસ્કાર પાંચ ઉત્કૃષ્ટ સામાજિક સાહસિકોને ભારત અને વિકાસશીલ વિશ્વના અન્ય ભાગોમાં તેમના પ્રભાવ માટે એનાયત કરવામાં આવશે. પાંચ પસંદ કરેલા સામાજિક સાહસો માટે અદાણી પુરસ્કાર અંતર્ગત કુલ રૂ.૫ કરોડનું ભંડોળ આપવામાં આવશે. વિજેતાઓની પસંદગી વિજ્ઞાન, વેપાર અને સુશાસન સહિતના વિવિધ ક્ષેત્રોના સિધ્ધહસ્ત-પ્રતિષ્ઠિત વ્યક્તિઓની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા કરવામાં આવશે.

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “ઓછા વિશેષાધિકાર ધરાવતા હોય એવા સામાજિક સાહસિકો જેઓને મદદ મળવી મુશ્કેલ હોય છતાં તેઓ આવશ્યક કાર્યમાં પોતાને જે રીતે સમર્પિત કરે છે પરંતુ તેઓ પ્રત્યે મારી હંમેશા હમદર્દી રહી છે. જ્યારે આપણે હરિયાળા, વિશ્વમાં ઓછા કાર્બનના નીચા સંક્રમણને સક્ષમ કરવા માટે ભારે રોકાણ કરવું જ જોઈએ, તે સાથે તેમાં સામાજિક ઉત્થાનને સમૃધ્ધ કરવા માટેની યોજનાઓને પણ આવરી લેવી જોઈએ. જો આપણે વિશ્વના સૌથી સામાજિક રીતે વંચિત લોકો માટે પણ વિશ્વાસ અને આશાવાદનું વાતાવરણ બનાવી શકીશું તો જ વસુંધરાની લીલી કળીઓ વાસ્તવિક રીતે લીલીછમ બની શકશે. અદાણી પ્રેરિત પુરસ્કાર અને ગ્રીન ટૉક્સની આ શ્રેણી સામાજિક સાહસિકોને શોધવાની પ્રક્રિયા માટે પાયો નાખશે કે જેઓ પ્રભાવી ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમના શ્રેષ્ઠ વિચારોને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરશે, તેવો આશાવાદ અદાણીએ વ્યક્ત કર્યો હતો.

અદાણી ગ્રુપ અન્ય ભાગીદારો સહિત કોર્પોરેટને સામાજિક સાહસો માટે સહયોગી ફંડ ઉભું કરવાની આ પહેલમાં જોડાવા માટે આમંત્રિત કરશે જેથી સામાજિક ઉત્થાન માટેના પ્રોજેક્ટ્સની સંખ્યાને વિસ્તૃત કરવામાં અને ભંડોળ પુરું પાડવામાં સહાય મળશે. પ્રથમ પગલા તરીકે અદાણી ગ્રુપ વિકાસશીલ વિશ્વમાં સામાજિક સાહસોના શ્રેષ્ઠ વિચારો માટે એકીકૃત બળ તરીકે ઓપન-સોર્સ ઇનોવેશન પ્લેટફોર્મ ચલાવશે.

અમદાવાદમાં યોજાઈ ગયેલી અદાણી ગ્રીન ટોક્સમાં ઓક્ટોબર 2021ની સમિટમાં ભાગ લેનાર પચ્ચીસ હજારથી વધુ સામાજિક સાહસો પૈકી પસંદ કરાયેલા પાંચ સામાજિક સાહસોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પેડ-મેન તરીકે વધુ જાણીતા અરુણાચલમ મુરુગનાથમ, હેલ્થકેર ઈનોવેટર ઇકુરે, પ્રોસ્થેટિક્સ ટેક્નોલોજિસ્ટ રોબો બાયોનિક્સ, ઓટોમેશન ડેવલપર જેન રોબોટિક્સ અને ધારાવી માર્કેટના સ્થાપક મેઘા ગુપ્તાનો સમાવેશ થાય છે. સૌપ્રથમ યોજાયેલી આ ગ્રીન ટોક્સમાં કોસ્ટા રિકાના એમ્બેસેડર ડૉ. ક્લાઉડિયો એન્સો રેના અને ઇઝરાયેલના ડેપ્યુટી એમ્બેસેડર રોની યેદી ડિયા-ક્લીન સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.