અદાણી અમદાવાદ મેરેથોન 27-28 નવેમ્બરે યોજાશે

અમદાવાદઃ અદાણીની અમદાવાદ મેરેથોનની પાંચમી આવૃત્તિ 27-28 નવેમ્બરે યોજવામાં આવશે, તેમાં ઓન-ગ્રાઉન્ડ એપ આધારિત રિમોટ રનિંગનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કોવિડ અંગેની સાવચેતી સાથે ઓન-ગ્રાઉન્ડ ઈવેન્ટ વેવ ફોર્મેટમાં યોજાશે. આ ઈવેન્ટનો થિમ #Run4OurSoldiers રહેશે. આ ઈવેન્ટ ભારતના બહાદુર સૈનિકોના સન્માનનો પ્રયાસ બની રહેશે. ભૂતકાળની જેમ આ વર્ષે પણ રજિસ્ટ્રેશનની આવક ભારતીય લશ્કરી દળોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

પાંચમી ‘અદાણી અમદાવાદ મેરેથોન’ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ 15 સપ્ટેમ્બરે થયો છે, જે 15 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. જેકોઈ મેરેથોનમાં ભાગ લેવા  ઇચ્છા ધરાવતા હોય તેઓ વેબસાઇટ www.ahmedabadmarathon.com ઉપર અને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી વિગતવાર માહિતી મેળવી શકશે.

અગાઉની જેમ આ દોડ પણ જે કેટેગરીમાં યોજાશે- એ મુજબ ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને પાંચ કિમીનો ફન રન, ઓનગ્રાઉન્ડ દોડ બે દિવસ, બે સ્લોટ (સવારે અને સાંજે)માં યોજવામાં આવશે. દરેક સ્લોટમાં સ્પર્ધકો 15 મિનિટનું અંતર રાખીને વેવ ફોર્મેટમાં દોડશે. સુરક્ષાને ધ્યાનમાં લઈને દરેક વેવમાં 250 કરતાં વધુ સ્પર્ધકો સામેલ થઈ શકશે નહીં.

ભારતીય સશસ્ત્ર દળોના કલ્યાણ માટે યોગદાન આપવાની નેમ સાથે અદાણી ગ્રુપ, અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન કરે છે અને તેને વાર્ષિક મહોત્સવનું  સ્વરૂપ આપવામાં આવ્યું છે. સામૂહિક દોડને કારણે લોકોને તંદુરસ્ત જીવનશૈલી માટે પ્રોત્સાહન મળે છે અને એકતાની ભાવના પ્રબળ બને છે, જે લોકો જાતે જોડાઈ શકે તેમ નથી એ લોકો વર્ચ્યુઅલી સામેલ થઈ શકે છે, એમ અદાણી એગ્રો અને ઓઈલ એન્ડ ગેસના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું હતું.  

વિજેતાઓનું મેડલ અને પ્રમાણપત્રથી બહુમાન કરવામાં આવશે. દોડ પૂરી કરનાર તમામ સ્પર્ધકોને દોડ પૂરી કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે, જે સ્પર્ધકોએ એપ આધારિત રિમોટ રનિંગ પસંદ કર્યું હશે તેમને પ્રાઇઝ મની લાગુ પડશે નહીં. લશ્કરી દળોના સ્પર્ધકોની નોંધણી વિનામૂલ્યે ચાલુ રહેશે. અદાણી અમદાવાદ મેરેથોન AIMS (Association of International Marathon and Distance Races) સાથે જોડાયું છે, જેથી સ્પર્ધકો વૈશ્વિક સ્તરે ક્વોલિફાય થઈ શકે એ માટે તેમને ટાઇમિંગ સર્ટિફિકેટ અપાશે. કારગિલ યુદ્ધના પીઢ સેનાની અને મેજર ડીપી સિંહ અદાણી અમદાવાદ મેરેથોન-2021ના બ્રાન્ડ એમ્બેસેડર છે.