રાજ્યમાં આવતી કાલથી માસ્ક ના પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડઃ રૂપાણી 

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા કોરોના વાઇરસના કેસોનો ધ્યાનમાં લેતાં માસ્ક ના પહેરનારા લોકો પર દંડ વધારીને 500 રૂપિયાથી 1000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે જાહેર સ્થળોએ વિના માસ્કે ફરતા લોકોને 11 ઓગસ્ટથી 1000 રૂપિયા દંડ ભરવો પડશે. હાઇકોર્ટે પહેલાં રાજ્ય સરકારને માસ્કનું ઉલ્લંઘન કરવા માટે દંડ વધારીને 1000 રૂપિયા કરવા માટે નિર્દેશ આપ્યા હતા.

વિજય રૂપાણીએ નાગરિકોને અપીલ કરી

રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યની હાઇકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપીલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીની ગિરદી ના કરતા, કેમ કે સંક્રમણ આવી ભીડથી વધુ ફેલાય છે. આવા સંક્રમણને રોકવા માટે સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે એવી વિનંતી તેમણે કરી હતી.

જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ

સરકારે આગામી સમયમાં આવી રહેલા તહેવારોની જાહેર ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના લીધે સાતમ-આઠમના મેળા રદ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, ગણેશોત્સવની પણ જાહેરમાં ઉજવણી કરવા મંજૂરી આપવામાં નથી આવી.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અગાઉ માસ્ક ન પહેરવા પર ગુજરાતમાં પહેલાં 200 રૂપિયા અને પછી 500 રૂપિયા દંડ કરવામાં હતો. હાઈકોર્ટે ચુકાદો આપ્યા પછી માસ્ક ન પહેરવા પર દંડની રકમમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે.