રાજ્યમાં 31 જળાશયો છલકાયા, જાણો ક્યાં ડેમમાં કેટલા પાણીની આવક થઈ

રાજ્યમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગાહી પગલે ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થીતિ પણ સર્જાય છે. તો બીજી બાજું ભારે વરસાદથી ખેડૂતો માટે રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં પ્રમાણે, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 183724 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 223685 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.

 આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51786 ક્યુસેક, ઉકાઈમાં 31206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23656 ક્યુસેક, વેણુ-૨માં 18906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18486 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમમાં 25થી 50 ટકા વચ્ચે જળ સંગ્રહ નોંધાયો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા,મધ્ય ગુજરાતના 17માં  35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.