‘PGDM’ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલમાં (SBS), વર્ષ 2021-23 ક્લાસના ‘ PGDM’ના વિદ્યાર્થીઓ માટે 12મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ઓમ્નીકોમ ઇન્ડિયાના CEO અને MD આદિત્ય કંથી  હતા. SBS દ્વારા વર્ષ 2023માં સ્નાતક થયેલા 130 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ ઉજવણીની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા પરંપરાગત દીપ પ્રાગટ્ય પછી મુખ્ય મહેમાન  આદિત્ય કંથીનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્નાતકોને સંગીતના સથવારે સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ચિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ ચિરિપાલે દીક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરી હતી. SBSનાં ડિરેક્ટર ડો. નેહા શર્માએ તમામ મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ, ફેકલ્ટી અને સ્નાતકોનું સ્વાગત કર્યું હતું. ડૉ. નેહા શર્માએ કહ્યું હતું કે દીક્ષાંત સમારોહ એ પ્રગતિ, પરિવર્તન અને પરિપૂર્ણતાનું પ્રતીક છે. તે એક નવી સફરની શરૂઆત છે.

મુખ્ય અતિથિ આદિત્ય કંથીએ તેમના સંબોધનમાં પાવર ઓફ બીગ ડ્રીમ અને એમ્બિશનની શક્તિનું મહત્વ સમજાવ્યું. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ જે પ્રકારનું કામ કરવા માગે છે તેને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે,  તેમણે કહ્યું હતું કે ટેકિંગ ચાર્જ,  અકાઉન્ટબિલિટી અને ઓનરશિપ ઓફ વર્ક -એ સફળતાનો મહામંત્ર છે. 

એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ પીજી ડિપ્લોમાથી નવાજવામાં આવેલા સ્નાતકોનાં નામ એનાઉન્સ કર્યા. ક્લાસ 2021-23ના ટોપરને આપવામાં આવેલો ઓવરઓલ એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ “અમીષા જૈન”ને આપવામાં આવ્યો હતો. માર્કેટિંગ, ફાઇનાન્સ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ટરનેશનલ બિઝનેસ, ડેટા સાયન્સ, કોમ્યુનિકેશન્સ અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ટોપર્સ તરીકે મેરિટોરીયસ એવોર્ડ મેળવનાર અન્યમાં અનુક્રમે રુચિ કુમારી, હર્ષિતા રામચંદાની, તસ્નીમ અખ્તર, પંડ્યા દેવી ધ્રુવ, નીતુ સિંહ રાજપૂત,  સૈજલ શ્રીવાસ્તવ અને ખેરા પ્રીતસિંહ હરવિંદરસિંહ હતા.

‘SBS’ના વિદ્યાર્થીઓએ નેસ્લે, એમઆરએફ, ડેલોઇટ, એચયુએલ, બર્જર પેઈન્ટસ, એસ એન્ડ પી ગ્લોબલ વગેરે જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે.