ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને લઈને મોટો નિર્ણય

તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાત એસ.ટી. નિગમના ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસ.ટી. વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી. યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

એસ.ટી. વિભાગના યુનિયનની વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક યોજાઈ

આજે એસ.ટી. વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી. નિગમના અધિકારીઓ જોડાયા હતા. ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને વેતનમાં થયેલા વધારાના નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.