અમદાવાદ: National Immunization Awareness Monthના પ્રસાર માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા આજે “From Cells to Shots: The Science of Immunity and Vaccination” વિષયક વિશેષ ઉદ્દબોધનનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા ન્યૂયોર્કના ફાર્મિંગડેલ સ્ટેટ કોલેજના સ્કૂલ ઓફ હેલ્થ સાયન્સના સહાયક પ્રોફેસર અને હાલમાં અમદાવાદ આવેલા પ્રો. જોલી શાહએ જણાવ્યું કે, “COVID-19 મહામારીએ આપણને બતાવ્યું કે આપણું રોગપ્રતિકારક તંત્ર કેટલું મહત્વપૂર્ણ છે અને રસીકરણ કેમ જરૂરી છે. જ્યારે આપણે રસી અને રોગપ્રતિકારક શક્તિ પાછળનું વિજ્ઞાન સમજીએ, ત્યારે આપણે ભવિષ્યમાં વધુ સારી તબીબી પસંદગીઓ લઈ શકીએ છીએ.”

આ કાર્યક્રમનો હેતુ માનવ રોગપ્રતિકારક તંત્રના વિજ્ઞાન અને રસીકરણના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. અદાણી વિદ્યામંદિરના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ આ સત્રમાં હાજરી આપી અને ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા. પ્રસ્તુતિ સરળ ભાષામાં અને વૈજ્ઞાનિક સમજ સાથે રજૂ કરવામાં આવી, જેને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો તરફથી ખુબ સરાહના મળી.

આ અવસરે સાયન્સ પોપ્યુલરાઈઝેશન વિભાગના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખે જણાવ્યું કે, “અપણા શરીરનું રોગપ્રતિકારક તંત્ર કેવી રીતે કાર્ય કરે છે અને રસી કેવી રીતે આપણને રોગોથી બચાવે છે તે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે. આવા સત્રો દ્વારા વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને સમજૂતીભર્યું બનાવી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. આ પ્રકારના કાર્યક્રમો રસીકરણ જાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”




