સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર, 26 એપ્રિલે યોજાશે મતદાન

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જેના પગલે હવે ગામડાંથી લઈને મહાનગરો સુધી રાજકીય ગરમાવો જોવા મળશે. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મહા નગર પાલિકા, નગર પાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થતા જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ અને મહત્વની તારીખો
આ ચૂંટણી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું 6 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થશે, જેની સાથે જ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 11 એપ્રિલ રાખવામાં આવી છે. ઉમેદવારી પત્રક ચકાસણીની તારીખ 13 એપ્રિલ રાખવામાં આવી છે. આ સાથે ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર
  • 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થશે
  • 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
  • 26 એપ્રિલે યોજાશે મતદાન
  • 28 એપ્રિલના રોજ યોજાશે મતગણતરી

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, કુલ 15 મહાનગરપાલિકાઓ અને 84 નગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા સિવાયની બાકીની 15 મનપામાં આ ચૂંટણી યોજાશે. શહેરી મતદારોના મિજાજ પર તમામ રાજકીય પક્ષોની નજર ટકેલી છે.

રાજ્ય ચૂંટણી કમિશનર એસ.મુરલીકૃષ્ણને પ્રેસ ક્રોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. નગરપાલિકાઓમાં 33.66 લાખ મતદારો, SIRની નવી યાદી પ્રમાણે નોંધાયેલા છે. મહાનગરપાલિકાઓમાં 1 કરોડ 10 લાખ મતદારો મતદાન કરશે. તાલુકા-જિલ્લા પંચાયતમાં 2 કરોડ 44 લાખ મતદારો છે.  કુલ  4 કરોડ 40 લાખ જેટલા મતદારો મતદાન કરશે.

રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તમામ બેઠકો માટે 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાન પૂર્ણ થયા બાદ 28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે અને તે જ દિવસે સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સ્થાનિક સ્તરે સત્તાની કમાન કોના હાથમાં જશે.