જમ્મુમાં સેના પર આતંકી હુમલો, 4 જવાન શહીદ

જમ્મુના કઠુઆમાં સેનાના જવાનો પર આતંકી હુમલાના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. આ હુમલાના સમાચાર સોમવારે સાંજે સામે આવ્યા હતા. આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવ્યું હતું. આ પહેલા આ હુમલામાં ચાર જવાનો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી હતી. મોડી સાંજે સમાચાર મળ્યા કે આતંકી હુમલામાં ચાર જવાન શહીદ થયા છે. આ ઘટનામાં ચાર જવાનો પણ ઘાયલ થયા છે. જેની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના સ્થળેથી સેનાના વાહનની એક તસવીર પણ સામે આવી છે, જેમાં ફાયરિંગને કારણે તે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યું છે. હુમલા બાદ ઘાટીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહાડી પર છુપાયેલા આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો અને સેનાના વાહન પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં અશાંતિ વધી છે. આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સમાચાર સતત આવી રહ્યા છે.

રાજૌરીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો

એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાનો મામલો સામે આવ્યો હતો. આ હુમલામાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એલર્ટ સુરક્ષા ચોકી પર તૈનાત સૈનિકે પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના સમયે સેનાનો જવાન ઘાયલ થયો હતો. આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.