મલયાલમ અભિનેત્રી સુબી સુરેશનું નિધન

સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય મલયાલમ અભિનેત્રી અને ટેલિવિઝન હોસ્ટ સુબી સુરેશનું બુધવારે કોચીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અભિનેત્રીના નિધનની તેના પરિવાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. સુબી છેલ્લા કેટલાક સમયથી લીવરની બિમારીથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. સુબીએ 41 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

સુબી સુરેશ તેની ભૂમિકાઓ અને ડાયલોગ ડિલિવરી માટે લોકોમાં પ્રખ્યાત હતા. નાનાથી લઈને મોટા પડદા સુધી, અભિનેત્રીએ તેની પ્રતિભા માટે પ્રશંસા મેળવી છે. સુબીના ચાહકો લાખોની સંખ્યામાં છે જેઓ હાલમાં તેમની પ્રિય અભિનેત્રીની વિદાય બાદ આઘાતમાં છે. વર્ષો પહેલા ‘કોચીન કલાભવન ટ્રુપ’માં મિમિક્રી આર્ટિસ્ટ તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર સુબીએ ધીમે ધીમે સ્ટેજ અને ટેલિવિઝન પર પોતાનો પગપેસારો કર્યો.

થોડા જ સમયમાં સુબી લોકોમાં લોકપ્રિય બની ગઈ હતી. અભિનેત્રી વિવિધ ટેલિવિઝન ચેનલો દ્વારા આયોજિત લાઇવ સ્ટેજ શોનો અવિભાજ્ય ભાગ બની હતી. ‘સિનેમાલા’ શોમાં સુબીએ અલગ-અલગ સ્ટાઈલમાં ધમાલ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. ટીવી હોસ્ટ હોવા ઉપરાંત સુબીએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીએ તેણીની ટૂંકી કારકિર્દીમાં 20 થી વધુ ફિલ્મોમાં તેણીની અભિનય કૌશલ્ય દર્શાવી હતી.સુબીના પરિવારમાં તેના માતાપિતા અને એક ભાઈ છે. અભિનેતા-એન્કરના આકસ્મિક નિધનથી ઇન્ડસ્ટ્રીના કલાકારોથી લઈને ચાહકો સુધી દરેક જણ શોકમાં છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને પણ અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેણે રિયાલિટી શો અને કોમેડી કાર્યક્રમો દ્વારા મલયાલીઓના હૃદયમાં સ્થાન બનાવ્યું.