સિદ્ધાર્થ-કિયારાનાં લગ્ન 6 ફેબ્રુઆરીએ જેસલમેરમાં યોજાશે

મુંબઈઃ જો અહેવાલો સાચા હોય તો, બોલીવુડ કલાકારો અને પ્રેમીપંખીડાં – સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાની આવતી 6 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે. એ માટેની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે. ઈટાઈમ્સના અહેવાલ અનુસાર, કિયારા નવવધૂ તરીકે એનાં વસ્ત્રો તૈયાર કરાવવામાં વ્યસ્ત છે જ્યારે સિદ્ધાર્થ લગ્ન પ્રસંગની તૈયારીઓ પર ધ્યાન આપી રહ્યો છે.

(ઈન્સ્ટાગ્રામ તસવીર)

બંનેનાં લગ્નની ઉજવણી ત્રણ દિવસ સુધી ચાલશે. જેસલમેર પેલેસ હોટેલમાં લગ્ન યોજાશે. બંનેએ આશરે 100 જેટલાં મહેમાનોને આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે. એમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર અને એની પત્ની મીરાનો સમાવેશ થાય છે.

સિદ્ધાર્થ અને કિયારાએ ‘શેરશાહ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.