રણવીરસિંહ પણ IIFA-2023 કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ આપશે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ આવતા વર્ષે અબુ ધાબીના ઈતિહાદ અરીના ખાતે નિર્ધારિત IIFA (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સની 23મી આવૃત્તિ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો છે. એવોર્ડ કાર્યક્રમ આવતા વર્ષની 10-11 ફેબ્રુઆરીએ અબુ ધાબીના યાસ આઈલેન્ડ પર યોજાવાનો છે. એમાં સંગીત અને મનોરંજનની શ્રેષ્ઠતમ કૃતિઓ એક જ છત્ર હેઠળ એકત્રિત થશે. આ ઝાકઝમાળભર્યો એવોર્ડ કાર્યક્રમ સતત બીજી વાર સંયુક્ત આરબ અમિરાતના ટાપુ પર યોજાવાનો છે.

IIFA 2023 કાર્યક્રમ અબુ ધાબીના સાંસ્કૃતિક અને પર્યટન વિભાગના સહયોગમાં યોજાશે. રણવીરસિંહ યાસ આઈલેન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર છે. IIFA-2023 કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ આપવાની જાણકારી આપતા એણે જણાવ્યું છે કે આઈફામાં ફરી પરફોર્મ કરવા હું ખૂબ જ ઉત્સૂક, રોમાંચિત છું. યાસ આઈલેન્ડ તો મારે મન ઘરથી દૂર બીજું ઘર છે.

આઈફા-2023માં વરુણ ધવન, સલમાન ખાન, કરણ જોહર, કૃતિ સેનન જેવી અન્ય બોલીવુડ હસ્તીઓ પણ પરફોર્મ કરવાની છે.