‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી

મુંબઈઃ હિન્દી અને તેલુગુ ભાષામાં હાલમાં જ રિલીઝ થયેલી ‘આદિપુરુષ’ ફિલ્મ અત્યંત વિવાદાસ્પદ બની ગઈ છે. એની પટકથા, સંવાદો અને પાત્રોના પહેરવેશ-મેકઅપ મુદ્દાઓ પર દેશભરમાં સામાન્ય લોકો તેમજ બોલીવુડનાં કેટલાંક નામાંકિત લોકો પણ રોષે ભરાયા છે. આ ફિલ્મે લોકોની ધાર્મિક લાગણીને દુભાવી હોવાનો આરોપ છે. ફિલ્મના સંવાદલેખક મનોજ મુંતશિરને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ હવે દિગ્દર્શક ઓમ રાઉતને એવી ધમકી મળી છે.

મુંબઈ પોલીસે મુંતશિરને તો સુરક્ષા પૂરી પાડી છે અને હવે રાઉતે વિનંતી કર્યા બાદ પણ પોલીસે એમને પણ સુરક્ષા પૂરી પાડી હોવાનો અહેવાલ છે. ઓમ રાઉતની ઓફિસમાં ચાર હવાલદાર અને એક સશસ્ત્ર પોલીસ અધિકારીને તૈનાત કરવામાં આવ્યા છે.