રજનીકાંતની-દીકરી ઐશ્વર્યા, ધનુષે છૂટાછેડા લેવાનું માંડી વાળ્યું

ચેન્નાઈઃ તામિલ ફિલ્મ અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે છૂટાછેડા લેવાનું હાલ મોકૂફ રાખ્યું છે અને લગ્નજીવન ટકી જાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે. બંને જણ લગભગ નવ મહિનાથી અલગ રહે છે. ઐશ્વર્યા મેગાસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી છે. ધનુષ અને ઐશ્વર્યાએ 2004માં લગ્ન કર્યાં હતાં. એમને બે પુત્ર છે – યત્રા રાજા અને લિંગા રાજા.

2022ના જાન્યુઆરીમાં ધનુષે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે પોતે અને ઐશ્વર્યાએ એમનાં 18 વર્ષ લાંબા લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું છે. કારણ કે બંને જણ અત્યારે એવી સ્થિતિમાં આવી ગયા છે કે બંનેનો માર્ગ અલગ છે. ધનુષ કે ઐશ્વર્યા, બેઉમાંથી કોઈએ પણ એમનાં લગ્નજીવનમાં પડેલા વિખવાદનું કારણ દર્શાવ્યું નથી.