ડૉ. નીરજા ગુપ્તાના સન્માનમાં ભવન્સ ખાતે ‘ઋણ સ્વીકાર સમારોહ’ યોજાયો

અમદાવાદ: ભારતીય વિદ્યાભવન દ્વારા ભવન્સ શેઠ આર. એ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય અને ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ મહિલા કુલપતિ પ્રોફેસર ડૉ. નીરજા ગુપ્તાના સન્માનમાં ‘ઋણ સ્વીકાર સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય તરીકે નિવૃત્તિ બાદ વિદાય સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તેમના લાંબા અને પ્રેરણાદાયી શૈક્ષણિક જીવનપ્રવાસને અર્પિત એક વિશેષ ક્ષણ રહ્યો હતો.

ડૉ. નીરજા ગુપ્તાએ 1998થી 2021 સુધી ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ 2021થી 2025 દરમિયાન મધ્યપ્રદેશ સ્થિત સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ બજાવી હતી. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે.

આ કાર્યક્રમ ભવન્સ અમદાવાદ કેન્દ્રના ચેરમેન ડૉ. મુકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, ભવન્સના ટ્રેઝરર ગૌરવભાઈ શાહ, વિવિધ યુનિવર્સિટીઓના આચાર્યો, ભવન્સ કોલેજના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ચેરમેન ડૉ. મુકેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં ડૉ. નીરજા ગુપ્તાને “દૂરંદેશી શિક્ષણવિદ અને કુશળ સંચાલક” તરીકે બિરદાવવ્યા. કહ્યું કે “તેમના નેતૃત્વ હેઠળ સંસ્થામાં ગુણવત્તા અને વિકાસને નવી દિશા મળી છે. સામાન્ય રીતે વ્યક્તિ પદને ગૌરવ આપે છે, પરંતુ ડૉ. ગુપ્તાના કુલપતિ પદ પર બેસવાથી તે પદની જ પ્રતિષ્ઠા વધી છે.”

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીએ જણાવ્યું કે “ડૉ. નીરજા ગુપ્તા એક વિદ્વાન અને દ્રષ્ટાવાન શિક્ષણવિદ છે. ગુજરાત યુનિવર્સિટીના વિકાસ માટે તેમના વિચારો મહત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં તેઓ વધુ ઊંચી જવાબદારીઓ સંભાળશે તેવી પૂરી શક્યતા છે.”

વિશેષ સન્માન વિધિ દરમિયાન ડૉ. નીરજા ગુપ્તાને સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા. પરંપરા મુજબ તેમને પાનેતર અર્પણ કરવામાં આવ્યું.

વિદાય સંબોધનમાં ડૉ. નીરજા ગુપ્તાએ જણાવ્યું કે “હું બહારથી આવી હોવા છતાં અહીં મને ખૂબ પ્રેમ અને સન્માન મળ્યું છે, જેના માટે હું ભારતીય વિદ્યાભવન પ્રત્યે હૃદયપૂર્વક ઋણી છું.” તેમણે યુવતીઓને આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી.

અંતમાં આ ઋણ સ્વીકાર સમારોહ ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક માહોલમાં પૂર્ણ થયો.