પ્રોપર્ટીની વહેંચણીના આરોપો પર રાહુલ ગાંધીનો યુ-ટર્ન

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ‘વેલ્થ સર્વે’ ટિપ્પણી પર યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેઓ માત્ર એ જાણવા માગે છે કે દેશમાં કેટલો અન્યાય થઈ રહ્યો છે. બુધવારે દિલ્હીના જવાહર ભવનમાં ‘સામાજિક ન્યાય પરિષદ’ને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે મેં કહ્યું નથી કે અમે આ કરીશું. હું શું કહું છું કે આવો જાણીએ કે કેટલો અન્યાય થયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જુઓ મેં કહ્યું હતું કે ચાલો જોઈએ કે કેટલો અન્યાય થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર કેવી પ્રતિક્રિયા આપી છે. તેઓ કહી રહ્યા છે કે આ દેશને તોડવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે જેઓ પોતાને ‘દેશભક્ત’ કહે છે તેઓ જાતિ ગણતરીના ‘એક્સ-રે’થી ડરે છે. તેમણે કહ્યું કે જાતિની વસ્તી ગણતરીને કોઈ શક્તિ રોકી શકે નહીં. અન્યાયનો ભોગ બનેલી 90 ટકા વસ્તી માટે ન્યાય સુનિશ્ચિત કરવાનું તેમના જીવનનું મિશન છે.

રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ કોંગ્રેસ પર લોકોની સંપત્તિને લઘુમતીઓ વચ્ચે વહેંચવાનો આરોપ લગાવી રહી છે. પીએમ મોદીએ 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વચન આપ્યું છે કે લોકોની સંપત્તિનો હિસાબ લેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો તે લોકોની મિલકતો લઈ લેશે અને વધુ બાળકો અને ઘૂસણખોરો ધરાવતા લોકોને વહેંચી દેશે.

સરકાર બને કે તરત જ જાતિ ગણતરી થશે : રાહુલ ગાંધી

કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની 90 ટકા વસ્તી સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમની સાથે થઈ રહેલા અન્યાયનો મુદ્દો ઉઠાવતા જ વડાપ્રધાન અને ભાજપે મારા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.  રાહુલે કહ્યું કે અમારી સરકાર બનતાની સાથે જ પહેલા જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. રાહુલે આરોપ લગાવ્યો કે રામ મંદિર અને નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન વખતે એક પણ દલિત કે આદિવાસી જોવા મળ્યો નથી. 90 ટકા વસ્તી આ સમજે છે.