ડાકોરના પથ પર પદયાત્રીઓ માટે ચાલતો મહાસેવાયજ્ઞ

અમદાવાદ: દર વર્ષે,  હોળી નિમિત્તે લાખો ભક્તો પગપાળા ડાકોર રણછોડજીના દર્શને જતા હોય છે. આ પદયાત્રીઓ માટે રસ્તામાં અનેક સેવાયજ્ઞ સમાન કેમ્પ ચાલતા હોય છે. જેમાં પગપાળા જતાં ભક્તોને મફત જમવાનું તેમજ રહેવાની સગવડ આપવામાં આવે છે. આવો જ એક સેવાયજ્ઞ ચલાવી રહ્યું છે ચિરીપાલ ગ્રુપ.

અમદાવાદથી થોડાક કિલોમીટરના અંતરે સિહુંજ ગામ નજીક આવેલ ચિરીપાલ દેવકીનંદન વિશ્રામ ગૃહ ખાતે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ડાકોરની મુલાકાત લેનારા અસંખ્ય ભક્તોની જરૂરિયાતોને પૂરી કરવા કેમ્પ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવેલ છે. જેમા ચિરીપાલ સેવા શિબિર તમામ ભક્તોને મફત ભોજન અને દવાઓ આપે છે. અહીં ચિરીપાલ જૂથના સેવાભાવી અગ્રણી બ્રિજમોહન ચિરીપાલની દેખરેખમાં 200થી વધુ સ્વયંસેવકો ત્રણ દિવસ દરમિયાન 7 લાખથી વધુ ભક્તોની સેવા માટે ખડેપગે હાજર રાખવામાં આવ્યા છે. આ વર્ષે આ ઉમદા પ્રયાસનું સતત 29મું વર્ષ છે.

આ અંગે ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે, “જાહેર સેવા ચિરીપાલ ગ્રૂપના મૂળમાં છે, અને અમે સમાજના લાભ માટે અમારો સમય અને અમારા સંસાધનો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 29 વર્ષથી અહીં ભક્તોના સમુદાયની સેવા કરવામાં અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમે ભવિષ્યમાં પણ આ મહા સેવા કાર્ય કરતા રહીશું.”

ભક્તોની તબીબી જરૂરિયાતો  માટે  ડૉક્ટર્સ,  નર્સિસ અને માલિશ કરનારની સમર્પિત ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી મુસાફરીને કારણે સ્નાયુઓના તાણ અને થાકને દૂર કરવા માટે પગની મસાજ અહીં કરી આપવામાં આવતી હોય છે. જ્યારે સામાન્ય બિમારીઓ માટે મફત દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શિબિરમાં ભક્તિમય ગીતો અને ભજનો સાથે આધ્યાત્મિક વાતાવરણ હોય છે.