બિન-કોવિડ કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છતી હોસ્પિટલો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસોમાં ઉત્તરોઉત્તર ઘટાડો થઈ રહ્યો છે અને મોટા ભાગનાં રાજ્યોએ અનલોકની પ્રક્રિયા આરંભી દીધી છે, ત્યારે દેશભરની હોસ્પિટલો નોન-કોવિડ કેસ- ખાસ કરીને કેન્સર, અન્ય ગંભીર કિડની રોગો અને અન્ય રોગોની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે છે. મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાના દર્દીઓની દેખરેખ કરવા પર ભાર આપવાની જરૂર છે, પણ નોન-કોવિડના દર્દીઓ જેવા કે કિમોથેરપી અને ડાયાલિસિસ જેવી નિયમિત સારવાર માટે અવગણના સહન કરવી પડતી હતી.

દેશમાં હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના દાખલ થવામાં ભારે ઘટાડો આવ્યો છે. દિલ્હીમાં હવે માત્ર બે-ત્રણ કોરાનાના દર્દીઓ દાખલ થાય છે. મેદાંતા લિવર ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડો. અરવિંદર સોઇને જણાવ્યું હતું કે અમારે ત્યાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં 70થી 80 ટકાનો ઘટાડો થયો છે.

કોરોનાની બીજી લહેર જ્યાં પિક પર હતી, ત્યાંથી આશરે 500 કોરોનાના દર્દીઓ હતા, જે હવે 100 દર્દીઓ છે, કેમ કે કોરોનાના દર્દીઓ જલદી સ્વસ્થ થઈ રહ્યા છે, પણ હવે કોરોના સિવાયના અન્ય દર્દીઓની સારવાર કરવાનો સમય આવી ગયો છે. જે અન્ય દર્દીઓ બેકફૂટ પર જતા રહ્યા હતા.