દેશની રક્ષા માટે આપેલા બલિદાનોને યાદ કરવા માટે 7 મી ડિસેમ્બરે ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’

દેશની રક્ષા માટે બહાદુર સૈનિકોએ આપેલા બલિદાનને યાદ કરવા માટે 7મી ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવશે.  સમગ્ર દેશમાં પ્રતિવર્ષ તા.૭મી ડિસેમ્બરના રોજ ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’એ રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર આપણા શૂરવીર સૈનિકો, દિવંગગત સૈનિકોના પરિવારજનો તથા પૂર્વ સૈનિકો પ્રતિ આદર, સન્માન અને આત્મીયતાની અભિવ્યક્તિ કરવાનો દિવસ છે.

આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરવામાં આવે છે

આ દિવસે સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો એકત્ર કરવામાં આવે છે. આ ઉજવણી અનુસંધાને રાજ્યના તમામ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નિયામકશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો તેમજ તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે ફાળો આપવા નિયામક, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, શાહીબાગ એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ (૩૮૦૦૦૩) ટેલિફોન નંબર -૦૭૯- ૨૨૮૬૮૩૪૯-૫૦ નો સંપર્ક કરી ઉદારતાથી સહયોગ આપી પોતાનું અમૂલ્ય અનુદાન મોકલવા તેમની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.