શું છે અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’નો આખો વિવાદ?

અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ વિવાદોમાં સપડાઈ છે. એક અલગ જ વિષય પર આધારિત ફિલ્મ ‘હમારે બારહ’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે વિવાદને જન્મ આપ્યો છે. અન્નુ કપૂરની ફિલ્મના ટાઈટલ અને કન્ટેન્ટને લઈને સામાન્ય લોકો જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો પણ પોતાનો વાંધો વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી બાજુ દિગ્દર્શક કમલ ચંદ્રાની પ્રથમ ફિલ્મ ‘હમારે બારહ’ તેના અલગ-અલગ કન્ટેન્ટને કારણે પ્રશંસા પણ મળી રહી છે. આ ફિલ્મ સવાલ ઉઠાવે છે કે ઇસ્લામ ધર્મનું કયું અર્થઘટન સાચું છે? મૂળ પ્રશ્ન એ છે કે શું ઇસ્લામ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ-અલગ ધોરણો અપનાવે છે? આ ફિલ્મમાં પીઢ અભિનેતા અન્નુ કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી છે. અન્નુ કપૂર લાંબા સમય પછી પડદા પર જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ અનેક રીતે સવાલો પણ ઉઠાવે છે, જેના કારણે હવે વિવાદ ઉભો થયો છે. ફિલ્મને લઈ ફરિયાદ નોંધવામાં આવી છે. જાણીએ કે શું છે સમગ્ર મામલો?

આ ફિલ્મ તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પણ દર્શાવવામાં આવી હતી. ફિલ્મનો હીરો સાચો મુસ્લિમ છે અને તેની ધાર્મિક માન્યતાઓથી બંધાયેલો છે. જીવનએ તેમને ધાર્મિક ગુરુઓથી આગળ ઇસ્લામની પ્રગતિશીલ પરંપરાઓને જાણવા, સમજવા અને અપનાવવાની તક આપી નથી. તેથી તે ચોક્કસપણે ફિલ્મનો વિલન નથી.

શું છે ફિલ્મની વાર્તા?

જ્યારે તેનીપત્ની તેના મૂર્ખ ઝનૂનને કારણે બારમા બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે, ત્યારે તે તેની કબર પર વલોપાત કરે છે કે ક્યારેય ઇસ્લામ વિશે નવું શીખવાની તક મળી નથી. અહીં રૂખસાનાનો અવાજ છે કે ‘હું મરીને આઝાદ થઈ ગઈ પણ ઘણી સ્ત્રીઓને પીડાની કેદમાં છોડી દીધી.’

ફિલ્મની વાર્તા પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટને પણ ધમકીઓ મળી રહી છે. ફિલ્મ ‘હમારે બારહ’ના નિર્માતાઓ અને કલાકારોએ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફિલ્મમાં મનોજ જોશી પણ છે. ફિલ્મ મોટી મુશ્કેલીમાં છે કારણ કે કાસ્ટ અને ક્રૂને અજાણ્યા લોકો તરફથી સતત મોત અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. આ અંગે નિર્માતાઓએ ફરિયાદ નોંધાવી છે.આ વિશે નિર્માતાઓની ટીમે કહ્યું, ‘માત્ર અમને જ નહીં પરંતુ અમારા પરિવારના સભ્યો અને મિત્રોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. પરંતુ પોલીસે અમને ખાતરી આપી છે કે તમે મહારાષ્ટ્રમાં છો, તમારી સાથે કંઈ ખોટું નહીં થાય. અમે આ ફિલ્મ ખૂબ પ્રેમથી બનાવી છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે આટલી બધી નફરતનો સામનો કરવો પડશે.

અન્નુ કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તે કહે છે કે હમારે બારહની કાસ્ટ અને ક્રૂને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. અભિનેતાના કહેવા પ્રમાણે, કેટલાક અજાણ્યા લોકો તેને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકી આપી રહ્યા છે. આ સાથે અન્નુ કપૂરે પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે. અભિનેતાએ ફિલ્મનું ટીઝર જોયા પછી જ કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવા વિનંતી કરી છે.