અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા ઉતારી આરતી

ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. અમદાવાદના જમાલપુુરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહોંચી ગયા છે અને તેમણે મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહે ભગવાન જગન્નાથની આરતી ઉતારી. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં ભાગ લેવા જોડાયા છે.

આ પહેલા ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને પછી સવારે 7 વાગ્યે રથયાત્રા શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા માટે ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.