BRS શાસનમાં તેલંગાણામાં 600 લોકોના ફોન ટેપિંગનો આરોપ

0

હૈદરાબાદઃ તેલંગાણાના રાજકારણમાં ફોન ટેપિંગનો મોટો આરોપ સામે આવ્યો છે. ભૂતપૂર્વ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સરકારના શાસનમાં વિરોધી નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઘણા મહત્વના ખુલાસાઓ થયા છે.

શું છે આરોપ?

આરોપ છે કે 2014થી 2023માં BRS સરકારના શાસનમાં તેલંગાણાની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ બ્રાંચ (SIB) દ્વારા આશરે 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા અને તેમની ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી. આ સંપૂર્ણપણે ગેરકાયદે છે. ડિસેમ્બર, 2023માં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં BRS સરકારે સત્તા ગુમાવી હતી.

કોના ફોન ટેપ થયા?

ફોન ટેપ કરાયેલા લોકોમાં રાજકીય નેતાઓ ઉપરાંત, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેન, હાઈકોર્ટના જજ, તેમના જીવનસાથી, ડ્રાઇવર અને બાળપણના મિત્રો પણ સામેલ હતા.

મામલો બહાર કેમ આવ્યો?

આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે રિલાયન્સ જિયોએ SIBને 6 ડિસેમ્બર 2023એ એક પત્ર મોકલ્યો. આ દિવસે નવી સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર બની હતી.

પત્રમાં શું હતું?

આ પત્રમાં પૂછવામાં આવ્યું હતું કે શું જિયો કંપનીએ અમુક ફોન નંબરની લીગલ ઇન્ટરસેપ્શન અથવા સર્વેલન્સ ચાલુ રાખવું જોઈએ? આ નંબર 16 નવેમ્બરથી 30 નવેમ્બર 2023 સુધી ટેપ થઈ રહ્યા હતા. એ સમયગાળો વિધાનસભા ચૂંટણીઓનો હતો. આવા પત્રોને રિકન્સિલિયેશન લેટર્સ  કહેવામાં આવે છે અને તે દર 15 દિવસે આવે છે. નવા પત્રોની તપાસમાં આ આખો કિસ્સો ખૂલ્યો.

પોલીસે સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા અગાઉ મોકલાયેલા પત્રોની તપાસ કરી. આમાં તે લોકોને લઈને વિગત મળેલી જેમના ફોન ટેપ થયાના આરોપ છે.

કયા લોકો આરોપી છે?

આ મામલામાં SIBના ભૂતપૂર્વ ચીફ અને IPS અધિકારી ટી. પ્રભાકર રાવ, ડેપ્યુટી SP ડી. પ્રણીત રાવ, એડિશનલ SP એમ. થિરુપથન્ના, એન. ભુજંગ રાવ, ભૂતપૂર્વ SP પી. રાધાકિશન રાવ અને એક ટીવી ચેનલના માલિક એ. શ્રવણકુમાર રાવ આરોપી છે.