“આ કોઈ અકસ્માત નથી, આ એક બેદરકારી છે. મેં મારા સગા નાના ભાઈને ગૂમાવ્યો છે. હું જે દુ:ખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું તે કોઈ નહીં સમજી શકે. મને અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.” આ શબ્દો છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુંબઈના જાવેદ અલીના મોટા ભાઈ ઈમ્તિયાઝના.
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ શૉકમાં ગરકાવ છે. કઠણ કાળજાને પણ કંપાવી મૂકે એવી આ ઘટનાના આક્રંદને તો શબ્દમાં કેવી રીતે વ્યક્ત કરી શકાય! અમદાવાદથી લંડન જતુ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન સાથે ગોઝારો અકસ્માત થાય છે અને એક હોસ્ટેલ પર તૂટી પડે છે. જેમાં સવારે 242 મુસાફરોમાંથી એકનો જ ચમત્કારિક બચાવ થાય છે અને બાકીના 241 લોકો બળીને રાખ થઈ જાય છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું છે. આ વિમાનમાં મૂળ મુંબઈના જાવેદ અલીનો પરિવાર પણ મુસાફરી કરી રહ્યો હતો.
જાવેદ અલી સૈયદ 11 વર્ષની લંડનમાં સ્થાયી હતાં. તે પોતાની પત્ની અને બે બાળકો સાથે મુંબઈના મલાડ સ્થિત પોતાના પરિવાર સાથે ઈદની ઉજવણી કરવા આવ્યા હતાં. જાવેદ અલીના ભાઈ ઈમ્તિયાજ અલીએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, મારી માતાની સર્જરી થઈ હતી અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો હતો. અમે આ તહેવાર આખો પરિવાર સાથે મળીને ઉજવવા ઈચ્છતા હતાં. તેથી મારો નાનો ભાઈ જાવેદ, તેની પત્ની અને બાળકો સાથે આવ્યો હતો. અમે ચાર ભાઈ-બહેન છીએ. અમારી બધાની સાથે ખુશીનો સમય વિતાવ્યા બાદ તે લંડન પરત ફરી રહ્યો હતો.
પીડિત જાવેદના ભાઈ ઈમ્તિયાજ અલીએ વધુમાં જણાવ્યુ કે આ કોઈ અકસ્માત નથી. આ એક બેદરકારી છે. જેમાં મારા ભાઈનો જીવ ગયો છે. અત્યારે હું જે દુ:ખ અને પીડામાંથી પસાર થઈ રહ્યો છું તે કોઈ નહીં સમજી શક. મારા મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ સવાલો હું ચોક્કસ ઉઠાવીશ.
(નિરાલી કાલાણી, મુંબઈ)
