આનંદો : ગુજરાત સરકારે સરકારી કર્મીઓના મોંઘવારી ભથ્થામાં કર્યો 8 ટકાનો વધારો

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલ સરકારે 9 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી છે. કર્મચારીઓ અને પેન્શન ધારકોને 8 ટકાના વધારાનો લાભ આપવામાં આવશે.

ક્યારથી વધારો લાગુ થશે ?

ત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના ધોરણે ચાર ટકાનો વધારો તારીખ 01-07-2022ની અસરથી તેમજ બીજા ચાર ટકાનો વધારો તારીખ 01-01-2023ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જુલાઈ 2022થી તથા 1 જાન્યુઆરી 2023ની અસરથી આપવાના થતાં મોંઘવારી ભથ્થામાં આઠ ટકાવા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે તેને ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત તફાવતની રકમનો પ્રથમ હપ્તો જૂન 2023ના પગાર સાથે, બીજા હપ્તો ઓગસ્ટ 2023 અને ત્રીજો હપ્તો ઓક્ટોબર 2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

કોને ભથ્થાનો લાભ મળશે ?

ગુજરાતના 9 લાખ કરતાં વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. ત્યારે સરકાર દ્વારા વધારવામાં આવેલ મોંઘવારી ભથ્થાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળશે. મુખ્યમંત્રી દ્વારા લેવાયેલ આ નિર્ણય પ્રમાણે રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળીને અંદાજે 9.38 લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો વધારાનો લાભ મળવાનો છે.