ગુજરાત : છેલ્લા 100 કલાકમાં 200 બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવી રહ્યા છે. ગુજરાતના મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ ઓપરેશન બાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વસવાટ શરૂ કરતાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે છેલ્લા 100 કલાકમાં 200 જેટલા ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા છે આ કામગીરી બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં ગેરકાયદે વસતા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરીકોને હાંકી કાઢવા માટે અભિયાન શરૂ કરાયું હતું, જેમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરીકોની અટકાયત કરીને તેમને તેમના વતનમાં મોકલી દેવાયા હતાં. આ ઉપરાંત અમદાવાદમાં મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા વિસ્તારમાંથી પણ તેમને હાંકી કાઢીને ડિમોલિશન કરી દેવાયું હતું.

આ અભિયાન ચાલુ હોવાથી સતત ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસની ચાંપતી નજર હતી. રાજ્યમાં પોલીસે આ અભિયાન હેઠળ છેલ્લા 100 કલાકમાં 200થી વધુ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં છે. અભિયાનમાં સુરત પોલીસે 36 કલાકમાં સૌથી વધુ 109 બાંગ્લાદેશીઓને પકડી પાડયાં છે. નવ બાંગ્લાદેશીઓને સુરત ગ્રામ્ય પોલીસ ઝડપી પાડયા છે. જ્યારે ભરૂચ પોલીસે 46 જેટલા બાંગ્લાદેશીઓને પકડી પાડયાં છે. કચ્છમાં પણ એક બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે.

પોલીસના અભિયાનમાં પકડાયેલા બાંગ્લાદેશીઓને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓને પકડવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનમાં પોલીસને સફળતા મળી છે અને હું પોલીસને અભિનંદન પાઠવું છું.