‘મિસ યૂનિવર્સ-2021’ હરનાઝકૌર સંધુની ઉપસ્થિતિમાં ‘માસિક ધર્મ સમાનતા માટે સામાજિક ગઠબંધન’નો શુભારંભ

‘મિસ યૂનિવર્સ-2021’નો તાજ જીતનાર ગુરદાસપુરનિવાસી હરનાઝકૌર સંધુ વિશ્વ સિદ્ધિ હાંસલ કર્યા બાદ 22 માર્ચ, મંગળવારે પહેલી જ વાર મુંબઈ આવી હતી. તે નિમિત્તે મિસ યૂનિવર્સ ઓર્ગેનાઈઝેશન, ડીડીબી ફોર ગુડ, પ્લાન ઈન્ટરનેશનલ અને ચેન્જિંગ અવર વર્લ્ડ જેવી સંસ્થાઓ દ્વારા ‘સ્ત્રીઓનાં માસિક ધર્મ સંબંધિત સમાનતા લાવવા માટે સામાજિક ગઠબંધન’ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભારતીય પેડમેન તરીકે જાણીતા થયેલા અરુણાચલમ મુરુગનાથમ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગઠબંધનનું લક્ષ્ય 2025ની સાલ સુધીમાં ભારતમાં 50 લાખ જેટલી મહિલાઓ અને કન્યાઓ માટે મેન્સ્ટ્રુઅલ ઈક્વિટી (માસિક ધર્મ સમાનતા) સિદ્ધ કરવાનું છે. (તસવીર સૌજન્યઃ માનસ સોમપુરા, ARTFIRST PHOTO DESIGNS)

આ પ્રસંગે હરનાઝકૌરે કહ્યું કે, ‘આ પહેલનો શુભારંભ કરવામાં મદદરૂપ થવા બદલ હું ગર્વનો અનુભવ કરું છું. મારી માતા ગાયનેકોલોજિસ્ટ છે તેથી માસિક ધર્મની અસમાનતાની સમસ્યાથી હું વાકેફ છું. હવે હું આ દ્વેષનો અંત લાવવા, જનતાને જાગૃત કરવા અને આવશ્યક ઉત્પાદનોની સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થઈશ.’ ‘પદ્મશ્રી’ સમ્માનિત ‘પેડ મેન’ અરૂણાચલમ મુરુગનાથમે કહ્યું કે, ‘કન્યાઓ અને મહિલાઓમાં માસિક ધર્મમાં સ્વચ્છતા અંગે યોગ્ય જાગૃતિ લાવીને જાતિ-સમાનતાનું લક્ષ્ય હાંસલ કરી શકાશે.’